માત્ર છ સપ્તાહમાં એક લાખ લોકોએ લીધી ગિરનાર રોપ-વેની મુલાકાત, કંપનીએ રજૂ કરી વિશેષ ડિસ્કાઉન્ટ યોજના

0
557
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગિરનાર રોપ વેએ માત્ર 6 સપ્તાહના ગાળામાં 1 લાખ મુસાફરોનું વહન કરવાની સિમાચિન્હરૂપ સિધ્ધિ હાંસલ કરી છે. રોપ-વે કંપનીએ કોવિડ-19 વૉરિયર્સ અને સંરક્ષણ દળમાં કામ કરતી વ્યક્તિઓની રાષ્ટ્રને સેવાની કદરરૂપે તેમના માટે વિશેષ યોજના પણ રજૂ કરી છે.

મંદિર સુધીના વિશ્વના સૌથી મોટો રોપ-વેનો પ્રારંભ તા. 24 ઓકટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો અને તેને મુલાકાતીઓ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે.

ઉષા બ્રેકોના, રિજનલ હેડ-વેસ્ટ દિપક કપલીશ જણાવે છે કે “અમને એ વાતનો આનંદ છે કે ગિરનાર રોપવેએ ઉદઘાટન પછી ખૂબ ટૂંકા ગાળામાં ગુજરાત અને ભારતમાંથી સફળતાપૂર્વક 1 લાખ મહેમાનોનુ વહન કરીને વધુ એક સિમાચિન્હ હાંસલ કર્યુ છે. ” કપલીશે જણાવ્યું કે “કંપની આ સિધ્ધિ માટે ગિરનાર રોપ-વેને વાસ્તવિકતા બનાવનાર તેના તમામ સહયોગીઓની આભારી છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “કોવિડ-19ની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને પ્રવાસન પ્રવૃત્તિમાં વેગ આવી રહ્યો છે, ત્યારે અમે વધુ મહેમાનોને સર્વિસ પૂરી પાડવા માટે અને ભવિષ્યમાં વધુ બહેતર સિમાચિન્હ હાંસલ કરવા માટે આશાવાદી છીએ.”

દેશના સૌથી જૂના રોપ-વે ડેવલપર ઉષા બ્રેકોએ આ પ્રસંગે કોવિડ-19 વૉરિયર્સ અને સંરક્ષણ દળમાં કામ કરતી વ્યક્તિઓ માટે પણ વિશેષ યોજના રજૂ કરી છે. આ વિશેષ યોજના હેઠળ ડોકટરો, નર્સો, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, પોલિસ, આશા વર્કર્સ અને કોવિડ-19ની કામગીરી સંભાળી રહેલા મેડિકલ સ્ટુડન્ટસ, મીડિયા તેમજ પાવર, ગેસ, ટેલિકોમ, સંરક્ષણ દળની વ્યક્તિઓ, અને તેમના પરિવારો અને મિત્રો નિયમિત ભાડાની તુલનામાં 40 ટકા ડિસ્કાઉન્ટથી રોપ વેની ટુ-વે મોજ માણી શકશે. આ વિશેષ ઓફર તા. 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ઉષા બ્રેકોએ પેસેન્જરો અને કર્મચારીઓની કોરોના વાયરસથી સુરક્ષા કરવા માટે વિસતૃત પગલાં અને પ્રોટોકૉલ હાથ ધર્યો છે. આ પગલાંમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ફરજીયાત ઉપયોગ, એન્ટ્રી ગેટ ખાતે થર્મલ સ્ક્રીનીંગ, મુલાકાતીઓ માટે માસ્કસનો ઉપયોગ, દરેક કેબીનમાં એક સાથે ચાર જ મુસાફરને પ્રવેશ અપાય છે અને કેબિનોનુ નિયમિત રીતે સેનિટાઈઝેશન કરવામાં આવે છે.