વૈષ્ણો દેવીથી-ભૈરો મંદિર જવા માટે રોપ-વે સેવા શરૂ

0
370
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

માતા વૈષ્ણોદેવીની યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. માતા વૈષ્ણોદેવી મંદિરથી ભૈરવ ઘાટી સ્થિત ભૈરવ મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે રોપ વે સેવા શરૂ કરવામાં આવી છે. આ કારણે તેમની યાત્રા ખાસ્સી આસાન થઈ જશે. જમ્મુ કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના ચેરમેન પણ છે. તેમણે રોપવે સેવાની શરૂઆત કરાવી છે.

એવી ધાર્મિક માન્યતા છે કે વૈષ્ણોદેવી આવનારા ભક્તોની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી મનાતી જ્યાં સુધી તે ભૈરવ ઘાટી જઈને ભૈરવના દર્શન ન કરે. પરંતુ વૈષ્ણોદેવી મંદિરના દર્શન કર્યા બાદ ભક્તો એટલા થાકી જાય છે કે તે ભૈરવ ઘાટની 6600 ફીટની સીધી ચડાઈ પાર નથી કરી શકતા અને દર્શન વિના જ જતા રહે છે. આમ તો આ ઘાટી વૈષ્ણોદેવી મંદિરથી 3.5 કિ.મી દૂર છે પણ તે અઘરી ચડાઈ છે.

પ્રતિ વ્યક્તિ રૂ.100 ચાર્જ

આવામાં રોપ વે સુવિધા શરૂ થવાથી 3.5 કિ.મીનો ટ્રેક માત્ર 3 મિનિટમાં પૂરો થઈ જશે. રોપવેની ટિકિટ પ્રતિ વ્યક્તિ માત્ર 100 રૂપિયા છે. કેબલ કારમાં એક ફેરામાં 40થી 45 યાત્રી સફર કરી શકશે. વૈષ્ણોદેવી મંદિર જનારા શ્રદ્ધાળુઓ રાત્રે યાત્રા કરશે તો પણ રોપવેની સુવિધા માત્ર સવારના સમયમાં જ મળશે. દિવસમાં 3થી 4000 યાત્રી વૈષ્ણો દેવીથી ભૈરવ ઘાટી પહોંચી શકશે. આ રોપવે માટે ભવનમાં અલગથી ટિકિટ કાઉન્ટર પણ બનાવવામાં આવ્યું છે.