પારામાંથી બનેલું આ છે પારદેશ્વર મહાદેવનું મંદિર, એક વાર કરો દર્શન

0
955
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પણ દહેગામ નજીક આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ પારો અર્થાત મરક્યુરીમાંથી બનેલું છે.

દહેગામથી ૧૬ કિલોમીટરના અંતરે આવેલા વહેલાલ ગામની સીમમાં આવેલું આ પારદેશ્વર મહાદેવનું મંદિર કદાચ આખા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં એક માત્ર હશે. અદભૂત અને અલૌકિક એવા આ પારદેશ્વર મહાદેવનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. અહીંના સંસ્થાપક શ્રી શ્રી માં અનંતાનંદજી અહીંયા શિવપૂજા સહિત દિવ્ય જયોત આયુર્વેદક રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. 1978ની સાલમાં ગિરનારી મહારાજે અનંતધામની સ્થાપના કરી હતી. તેઓ આયુર્વેદના પ્રખર જ્ઞાતા હતા. આથી આયુર્વેદિક હોસ્પિટલની સાથે ૧૯૮૦માં તેમણે પારાના શિવલિંગની અહીં સ્થાપના કરી તેને પારદેશ્વર મહાદેવ નામ આપ્યું હતું.

જ્યાં જીવલેણ રોગ જેવા કે કેન્સરની પણ સફળ સારવાર થાય છે. આ શિવલિંગ બનાવવામાં ઉપયોગ થયેલ દુર્લભ જડીબુટ્ટીઓ અને પારાના લીધે આ શિવલિંગ પર અભિષેક કરાયેલું પાણી આયુર્વેદિક દવા બનાવવામાં અને વનસ્પતિઓ ઉગાડવામાં કરાય છે. પારદ શિવલિંગનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. ભારત દેશની આજ તો ખૂબી છે કે જે કાર્ય વિજ્ઞાાન ન કરી શકે એ આપણાં સંતો વર્ષો અગાઉ કરી ચૂક્યા છે. શ્રાવણ મહિનામાં જ નહિ પણ આખા વર્ષ દરમિયાન આ શિવલિંગના દર્શન કરવા લોકો વિદેશથી પણ આવે છે.

અનંતાનંદ માં ને આ આધ્યાત્મ અને આયુર્વેદનો વારસો ગિરનારી બાબા તરફથી મળ્યો હતો. ગિરનારી બાબા જડીબુટ્ટી વિજ્ઞાાનના ખૂબ જ પારંગત હતા અને માત્ર અનંતાનંદ માં ને જ પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી હતી. પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવો એક લ્હાવો છે.

શ્રી અનંતધામ ખાતે આયુર્વેદિક હોસ્પિટલમાં બહારગામથી આવતા દર્દીઓ માટે રહેવાની સુવિધા છે જેના માટે કોઈ ચાર્જ લેવાતો નથી. શ્રી પારદેશ્વર મહાદેવ, અનંતધામ ખાતે યાત્રિકો માટે ભોજનશાળામાં જમવાની સુવિધા છે.