રસપ્રદ કહાની છે રાજસ્થાનના ટોંકમાં આવેલા શ્રી કલ્યાણજી મંદિરની

0
506
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રાજસ્થાનના ટોંક જિલ્લામાં સ્થિત ડિગ્ગી કલ્યાણજીના મંદિરમાં આસ્થાનો સૈલાબ જોવાલાય હોય છે. દર વર્ષે અહીં લાખો ભક્ત અહીં અનેક કિલોમીટરની પગપાળા મુસાફરી કરીને દર્શન કરવા પહોંચે છે. અનેક ભક્તો અહીં કનક દંડવત કરતા કે ખુલ્લા પગે પહોંચે છે. શ્રાવણ મહિનામાં અહીં લક્ખી મેળો ભરાય છે. આ સમય દરમિયાન જયપુર સહિત અનેક શહેરોમાંથી પગપાળા યાત્રીઓ અહીં આવે છે. આ મંદિરનું પુર્નનિર્માણ મેવાડના તત્કાલીન રાણા સંગ્રામ સિંહના શાસન કાળમાં સંવત 1584 એટલે કે ઇસ.1527માં થયું હતું.

મંદિરનો ઇતિહાસ

આ મંદિરની સ્થાપના સાથે એક રોચક કથા જોડાયેલી છે. એકવાર ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. આ દરમિયાન ઉર્વશી હસી પડી. ઇન્દ્ર નારાજ થઇ ગયા અને તેમણે ઉર્વશીને 12 વર્ષ સુધી મૃત્યુલોકમાં રહેવાનો શ્રાપ આપ્યો. ઉર્વશી મૃત્યુલોકમાં સપ્ત ઋષિના આશ્રમમાં રહેવા લાગી. તેની સેવાથી પ્રસન્ન થઇને ઋષિઓએ વરદાન માંગવાનું કહ્યું તો ઉવર્શીએ પાછા ઇન્દ્રલોકમાં જવાની ઇચ્છા પ્રગટ કરી. સપ્ત ઋષિઓએ કહ્યું કે ઢુંઢાડ પ્રદેશમાં રાજા ડિગ્વ રાજ્ય કરે છે, તુ તેમના રાજ્યમાં નિવાસ કર, મુક્તિનો રસ્તો મળશે. ઉર્વશી ડિગ્વ રાજાના ક્ષેત્રમાં ચંદ્રગિરી પહાડ પર રહેવા લાગી. જે વર્તમાનમાં ચાંદસેનના ડુંગર નામે પ્રસિદ્ધ છે. પહાડની નીચે સુંદર બાગ હતો જ્યાં ઉર્વશી ઘોડીના રુપે પોતાની ભૂખ સંતોષતી હતી. આનાથી બાગ ઉજ્જડ થવા લાગ્યો તો પરેશાન રાજાએ ઘોડીને પકડવાનો આદેશ આપ્યો. સંયોગથી ઘોડી રાજાની પાસેથી જ નીકળી તો રાજાએ તેનો પીંછો કર્યો અને ઘોડી પહાડ પર જઇને અપ્સરા બની ગઇ. જેને જોઇને રાજા મુગ્ધ થઇ ગયા અને તેમણે ઉર્વશીને મહેલમાં રહેવાનું આમંત્રણ આપ્યું.

ઉર્વશીએ તેને એ શરતે સ્વીકાર કર્યો કે શ્રાપ કાળ સમાપ્ત થતાં ઇન્દ્ર લેવા આવશે. જો રાજા ઇન્દ્રને પરાજીત કરશે તો ઉર્વશી તેની સાથે રહેશે અને જો રાજા હારી જશે તો તેને શ્રાપ આપશે. ઉર્વશીનો શ્રાપ કાળ સમાપ્ત થતા ઇન્દ્ર લેવા આવ્યા અને તેમણે રાજા સાથે યુદ્ધ કર્યું. ભગવાન વિષ્ણુએ ઇન્દ્રની મદદ કરી અને ડિગ્વ રાજા હારી ગયા. શરત મુજબ ઉર્વશીએ પરાજીત રાજાને કોઢી થવાનો શ્રાપ આપ્યો. પરંતુ ભગવાન વિષ્ણુએ આ શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો પણ બતાવ્યો. તેમણે કહ્યું કે થોડાક સમય બાદ સમુદ્રમાં તેમને મારી એટલે વિષ્ણુની મુર્તિ મળશે, જેના દર્શનથી શ્રાપમાંથી મુક્તિ મળશે. રાજા સમુદ્રના કિનારે રહેવા લાગ્યા. એક દિવસ તેમની નજર એક મૂર્તિ પર પડી અને તેઓ શ્રાપ મુક્ત થઇ ગયા. બરોબર તે સમયે ત્યાં એક દુઃખી વ્યક્તિ આવી ગયો. તેણે પણ મૂર્તિને જોઇ તો સંકટ દૂર થઇ ગયું. હવે બન્ને વચ્ચે મૂર્તિના ઉત્તરાધિકારી બનવાને લઇને વિવાદ થયો. ત્યારે આકાશવાણી થઇ કે જે વ્યક્તિ રથમાં ઘોડાના બદલે પોતાને જોતરીને મૂર્તિને લઇ જશે તે ઉત્તરાધિકારી બનશે. રાજા તેમાં સફળ થયા. તેમણે મૂર્તિની સ્થાપના એ સ્થાને કરી જ્યાં તેમનું ઇન્દ્ર સાથે યુદ્ધ થયું હતું.

આ સ્થાન આજે ડિગ્ગીપુરી છે અને કલ્યાણજી મંદિરના નામે પ્રસિદ્ધ છે. આમ તો મંદિરમાં દરરોજ ભક્તોની ભીડ રહે છે પરંતુ પ્રત્યેક પૂનમે અહીં મેળો લાગે છે. આ સાથે જ વૈશાખ પૂનમ, શ્રાવણ એકાદષી તેમજ અમાસ અને જલ ઝુલની એકાદશીએ મોટો મેળો ભરાય છે.

મંદિરમાં દર્શનનો સમય:

સવારે 4:30 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. દિવસમાં ભોગના સમયે દર્શન થોડાક સમય માટે બંધ રહે છે.

કેવી રીતે પહોંચશો (How To Reach)

રોડ માર્ગ- આ સ્થળ જયપુર, સવાઇ માધોપુર, ટોંક સહિત અનેક શહેરોથી રોડ દ્ધારા જોડાયેલું છએ. અહીં આવવા માટે જુદા જુદા સ્થળોએથી બસ તેમજ ટેક્સી સેવા સરળતાથી મળી રહે છે. જયપુરથી ડિગ્ગીનું અંતર લગભગ 80 કિલોમીટર છે.

રેલ માર્ગ- નજીકનું રેલવે સ્ટેશન નિવાઇ છે જે મંદિરથી લગભગ 65 કિલોમીટર છે.

હવાઇ માર્ગ- જયપુરનું સાંગાનેર એરપોર્ટ અંદાજે 70 કિલોમીટર છે.